હવે આ હાથ મારા
હવે આ હાથ મારા આભને અડતા નથી,
સિતારા એટલે ધરતી ઉપર પડતા નથી.
ખબર જ્યારે પડી કે એ પછી અજવાસ છે,
મને ઓળા હવે અંધારના નડતા નથી.
મરેલી મા સુધી એ જઈ અને સંદેશ દે,
પતંગો કેમ ઊંચા એટલા ઊડતા નથી !
ખભા પર ટેકવીને પગ ચડે છે જે ઉપર,
સફળતા પામવા સીડી પછી ચડતા નથી.
ગઝલના નામ પર જેણે નિછાવર કર્યું જીવન,
ફકીરો શબ્દના આજે હવે જડતા નથી.
~ પરાજિત ડાભી
યાદ આવે છે કે ‘કવિ રોજ સાંજે ચોક્કસ સમયે કવિતાનો રિયાઝ કરવા પોતાના રૂમમાં બેસી જતા’. કોઈ પણ કળા હોય, રિયાઝ વગર એમાં નિખાર આવે નહીં અને કવિ પરાજિત ડાભીની સફળ ગઝલો એ વાતની સાબિતી આપે છે. કેન્સર જેવા દર્દની પીડા સામે તેઓ ગઝલો થકી જ જીવ્યા. કદાચ કવિતા વગર એમનું આયખું વહેલું પૂરું થયું હોત !
ડો. પથિક પરમારે સંપાદિત કરેલા એમના બે કાવ્યસંગ્રહો પ્રાપ્ત થયા છે.
1. પરાજિત ડાભીની યાદગાર ગઝલો અને
2. પરાજિત ડાભીની કાવ્યસૃષ્ટિ.

જેમણે ખૂબ શારિરીક અને માનસિક યાતના વેઠી હોય અને સંવેદનશીલ દિલ હોય તો જ આવી ગઝલો રચાય. સ્મૃતિ વંદન એમના પવિત્ર આત્મા ને.
બન્ને ગઝલ સંવેદના ભરપૂર છે ્્
સુંદર ગઝલો