હરિકૃષ્ણ પાઠક ~ સર્જનહાર સમેત * આસ્વાદ ~ Vivek Tailor * Harikrushna Pathak

સરસર સરસર ઝાડ-પાંદડે
ફરફર ઊડે બારીમાં
તડતડ ધડધડ છાજ-છાપરે
સરતરબોળ અટારીમાં.
કાગળની હોડીમાં તરતી
ગલી ગલી કલશોર ભરી
ભીંત અઢેલી ઊભાં ઢોરાં
રુંવે રુંવે રોમાંચ ધરી.
મન વિરહીનાં આકુળ-વ્યાકુળ
હળ્યાં-મળ્યાંનાં છલકે હેત,
સચરાચર સુખ-સાગર છલકે
મલકે સર્જનહાર સમેત.

~ હરિકૃષ્ણ પાઠક

ક્યારેક કૃતિનો વિચાર વિસ્તાર કરવાના બદલે સર્જકની તકનિક વિશેની વાત પણ વધુ રસદાર હોઈ શકે.

• છંદવિધાન: ત્રીસો સવૈયો – એકી પંક્તિમાં સોળ અને બેકીમાં ચૌદ માત્રા. ગાગાગાગા, ગાલલગાગા, ગાલગાલગા, લગાલગાગાની રેવાલ ચાલ જેવી પ્રવાહી ગતિ વરસાદની રવાની તાદૃશ કરી આપે છે.


• ઓનોમેટોપિઆ: રવાનુકારી શબ્દોના પ્રયોગથી “અવાજ”ને “ચાક્ષુષ” કરવાની કળા. સરસર સરસર ફરફર તડતડ ધડધડ સરતરબોળ – કવિએ આકાશમાંથી મુશળધાર વરસતા વરસાદની ગતિને કેવી આબેહૂબ રીતે ઉપસાવી આપી છે.


• પ્રાસરચના : શરૂઆતની ચાર પંક્તિમાં a-b–a-bની ચુસ્ત પ્રાસરચના પ્રયોજ્યા પછી કવિ માત્ર એકી સંખ્યાની કડીઓને પડતી મૂકી માત્ર બેકી સંખ્યાની કડીઓમાં પ્રાસ યોજે છે, જાણે વચ્ચેના પ્રાસ અનવરત વરસાદમાં ધોવાઈ ન ગયા હોય…


• વર્ણાનુપ્રાસ: સરસર સરસરના ચાર સ અને ચાર ર, ગલી ગલી, છાજ-છાપરે, ભીંતના ભ સાથે ઊભાંનો ભ અને અઢેલીના ઢ સાથે ઢોરાંનો ઢ, રુંવે-રુંવે રોમાંચના ત્રણ ર, હળ્યાં સાથે હેત, સચરાચર સાથે સુખ અને સાગરના સ, સર્જનહાર સાથે સમેતનો સ – વરસાદના ટીપાં એક પછી એક એકસરખા પડતાં હોય એવો ભાસ કવિ કેવો બખૂબી આટલી નાની કવિતામાં એક પછી એક વર્ણાનુપ્રાસ પ્રયોજી ઊભા કરી શક્યા છે !


• પાણીની જેમ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાતો નાદ – ઝાડ-પાંદડે પછીની પંક્તિમાં ઊડે, ભરીના ભ પછીની પંક્તિમાં તરત આવતો ભીંતનો ભ, ઢોરાંના ર ને પકડી શરો થતો આગલી પંક્તિના રુંવે રુંવે નો ર, આકુળ-વ્યાકુળના ‘ળ’નું આગલી પંક્તિના હળ્યાં મળ્યાંમાં ઢોળાવું, છલકે પછી તરત આવતો મલકેનો ઉપાડ- કવિએ વરસાદની ગતિને કેટકેટલી તરેહથી મૂર્ત કરી આપી છે !

~ વિવેક ટેલર

વરસાદની આ મોસમ. વરસાદનું આ કાવ્ય અને વિવેકભાઈએ કાવ્ય ટેકનીક વિશે કેટલી સરસ, અર્થપૂર્ણ વાતો લખી છે. કવિતા શીખવા માગતા નવોદિતોને ખૂબ કામ આવે એવી. આભાર લયસ્તરો.

લતા હિરાણી

3 Responses

  1. સરસ કાવ્ય નો ઉત્તમ આસ્વાદ આપની ટિપ્સ પણ ઉપયોગી

  2. ચંદ્રશેખર પંડ્યા says:

    મને રસખાન યાદ આવ્યા.

    सेस गनेस महेस दिनेस, सुरेसहु जाहि निरंतर गावै।
    जाहि अनादि अनंत अखण्ड, अछेद अभेद सुबेद बतावैं॥
    नारद से सुक व्यास रटें, पचिहारे तऊ पुनि पार न पावैं।
    ताहि अहीर की छोहरियाँ, छछिया भरि छाछ पै नाच नचावैं॥

  3. Minal Oza says:

    चन्द्रशेखरभाई ने उचित संदर्भ दिया। धन्यवाद।
    વિવેકભાઈએ કાવ્યશૈલીના બધાં ભેદ ખોલી આપ્યા. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: