સુરેશ જોશી – આજનો કવિ * Suresh Joshi
આજનો કવિ પોતે કવિ છે એ હકીકતને ભાગ્યે જ ભૂલી શકે છે. પોતાની ગમે તેવી ક્ષુદ્ર લાગણીને કે ક્ષણિક તરંગને કાવ્યમાં નિરૂપવાનો એને વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે એવું એ માની બેઠો હોય છે. અર્વાચીન કાવ્યસાહિત્યમાં આથી ઘણી વાર આપણે વ્યવહારમાં જેને બીજાને કહી બતાવવી યોગ્ય ન ગણીએ એવી વૃત્તિને પ્રકટ થયેલી જોઈએ છીએ. કવિની ક્ષુદ્રતાના કથીરને પદ્યના પ્રવાહોમાં ઝબકોળી દેવાથી કાંચન બનાવી શકાતું નથી. એવી વૃત્તિઓની ને વાસનાઓની ચળને ભાવકના ચિત્તમાં પણ ઉશ્કેરી મૂકવાનો કશો અર્થ નથી. આપણાં કહેવાતાં પ્રણયકાવ્યોમાં આવા કદર્ય અંશો કવિતાને છદ્મવેશે ઘૂસી ગયા છે.
જેમાં કવિ પોતાની અંગત ઊમિર્ઓને ગાતો હોય છે તેમાંય સચ્ચાઈ અને સન્નિષ્ઠાનો અભાવ વરતાઈ આવ્યા વિના રહેતો નથી. સ્વાર્પણની, વિશ્વબંધુત્વની ભાવનાનાં કાવ્યો આપણે ત્યાં ઢગલાબંધ લખાયાં છે. પણ એમાં આપણા યુગમાં ગાંધીજી જેવા યુગપુરુષે જીવનમાં ચરિતાર્થ કરેલી ભાવનાનું કેવળ પોપટિયા ઉચ્ચારણ જ થતું હોય એવું ઘણી વાર લાગે છે; અન્તરનાં ઊંડાણમાં એ ભાવનાને ખખડાવી જોતાં એનો રણકો બોદો જ સંભળાય છે. કવિતા લખી નાંખવા ખાતર કવિ એને કાવ્યવિષય બનાવતો હોય એવું લાગે છે. કવિના ચિત્તમાં એ ભાવના સમરસ થઈ હોય ને એ રીતે કવિના સમસ્ત વ્યક્તિત્વની સ્વીકૃતિની છાપ લઈને એ કાવ્યમાં જીવન્ત બનીને ધબકી ઊઠતી હોય એવું લાગતું નથી. આ પ્રકારની આત્મપ્રવંચના અને પ્રવંચનાનું સાધન કવિતાને બનાવવી એ એની અધોગતિ કરવા જેવું નથી?
(કવિના લેખનો અંશ)
OP 10.7.2021
Vivek Tailor
10-07-2021
વાહ..
અર્થસભર
Sarla Sutaria
10-07-2021
આજનો કવિ, આ લેખમાં કવિની વેદના વ્યક્ત થઈ છે. કવિ થયા એટલે પ્રમાણભાન વગર બસ લખવું જ એવું ન હોવું જોઈએ. સારું ને ઉચ્ચ કોટીનું સાહિત્ય રચવુંં એ કવિ અગર લેખકની જવાબદારી બને છે.
Sarla Sutaria
10-07-2021
આજનો કવિ, આ લેખમાં કવિની વેદના વ્યક્ત થઈ છે. કવિ થયા એટલે પ્રમાણભાન વગર બસ લખવું જ એવું ન હોવું જોઈએ. સારું ને ઉચ્ચ કોપીનું સાહિત્ય રચવુંં એ કવિ અગર લેખકની જવાબદારી બને છે.
મનોહર ત્રિવેદી
10-07-2021
સુરેશભાઈએ કવિઓને ઝીણી ચૂંટી ભરી છે પરંતુ અમુકોની ચામડી ચામડામાં ફેરવાઈ ગઈ હોય એને શી-કશી અસર થાય?
Varij Luhar
10-07-2021
આજના કવિ સુરેશ જોશી ના લેખ નાં અંશ વાંચવા ગમ્યા..
શિર્ષક…આજનો કવિની…ખૂંચ્યુ઼ં
છબીલભાઈ ત્રિવેદી
10-07-2021
સુરેશ જોશી ના લેખનો અંશ આજનો કવિ ખુબ વિચાર માગી લે તેવો લેખ છે આમા અમારા જેવા નુ ગજુ નહિ પણ કવિ ની વેદના પણ સાચી હોય તેવુ લાગી રહ્યું છે આ મારુ અંગત માનવુ છે હુ ખોટો પણ હોય શકુ આભાર લતાબેન
પ્રતિભાવો