મધુકર રાંદેરિયા ~ લાગે છે

લાગે છે અવાચક થૈ ગઈ છે કલબલતી કાબર બહાર બધે, ન્હૈ તો અહીં એકીસાથે શાયરના અવાજો શા માટે?

આકાશી વાદળને નામે વાત તમોને કહી દઉં છું, કાં વરસી લો, કાં વિખરાઓ અમથાં ગાજો શા માટે?

મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો, ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?

જલતી શમાને ઠારો ના પરવાનાને વારો ના, પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઈલાજો શા માટે?

કોઈ કહેશો કે મયખાનાની શી હાલત છે સાચેસાચી, ‘પી પી કહેનારા બોલે છે પાજોપાજોશા માટે?

દફનાઈ જવા દો ગૌરવથી જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં, આંસુ ને નિસાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?

નમન નમનમાં હોય છે કે વધતોઓછો ફેર નકી, ન્હૈ તો નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?

દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે, સ્હેજ ઉમરમાં આવ્યાં કે રોજ તકાજો શા માટે?

વાત નથી છાનીછપની ચર્ચાઇ છે જાહેરમાં સઘળે, શરમાળ કુસુમને કહી દો કેમધુકરનો મલાજો શા માટે?

 ~ મધુકર રાંદેરિયા  (3.4.1917)

 કવિના જન્મદિને સ્નેહવંદના

 

3 thoughts on “મધુકર રાંદેરિયા ~ લાગે છે”

  1. પહેલી રચનાનો વિદ્રોહનો અવાજ ધારદાર છે.
    બીજી રચના આસ્વાદ્ય બની છે. અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *