
પ્રથમ ખૂલ્લી આંખે એ સપનાં ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.
આ માણસ અજાયબ ને અવળું ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.
નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.
વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.
વિના કારણે પહેલાં વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.
ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!
લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.
ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.
~ મોના નાયક ‘ઊર્મિ’
છેલ્લો શેર તો સુપર્બ! આટલું સરસ અને તોય કેમ આટલું ઓછું લખો છો? એમ પૂછવાનું જરૂર મન થાય…..

મોના નાયક, સરસ . બધા શેર ગમ્યા. વાવણીને લણે છે વાહ
પગરવો રણઝણે અને સગપણને વળગણ ગણે…….આ અભિવ્યકિત ગમી.
અંતરનાં સગપણ..વાળા શેરમાં આજના જમાનાની તાસીર સુપેરે અભિવ્યક્ત થઈ છે. અભિનંદન.
ખૂબ સરસ….👌👌
ખૂબ જ સરસ ગઝલ માણવા મળી
મસ્ત શેરો..્્્
Thank you, Lata aunty 🙏❤️
Thank you everyone 🙏❤️