
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને,
તારા વિના અહીં તો ધૂમ્મસ છે બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને.
અકળાઇ જાઉં એવા અબોલા ના રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને,
તું આવશે નહિ એ હું જાણું છું, તે છતાં,
તું આવવાના ખોટા ઇરાદાઓ લખ મને !
કોઇ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે તારાં એ પગલાં લખ મને !
~ દિલિપ પરીખ
સાંગોપાંગ સુંદર ગઝલ !
હમણાં 19મી ફેબ્રુઆરીએ કવિનો જન્મદિવસ ગયો. થોડા દિવસ મોડું… પણ એમણે રચેલી આવી સરસ મજાની ગઝલથી એમને યાદ કરીએ જ …

વાહ. પ્રેમીના અબોલા કરતાં તો તેના અક્ષરોમાં લખેલ ઝઘડાઓ વધુ સારા!
ખૂબ જ સુંદર, કવિની ‘સિગ્નેચર’ ગઝલ.