જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ ~ નીંભાડો ખડકાણો
નીંભાડો ખડકાણો મારા નાથનો, માંહીં ઓરાણાં તમામ
નાનાં ને મોટાં, નીચે-ઉપરે, ઠાંસીને ભરિયાં છે ઠામ.
લાગી રે લાગી આ ઝાળું આગની, એના તમે કરી લ્યોને સંગ;
ચારે રે દિશાથી તાપને નોતરો, જોજો એક્કે કાચું રહે નહિ અંગ….
આયખું ઉજાળો તપીને ટેકથી, જોજો ભાઈ, ખૂટી નવ જાય હામ !
ફૂટયાં તે દી કહેવાશે ઠીંકરાં, કોઈ નહિ કહેશે તમને ઠામ.
નીંભાડો ઉખાળી લેશે પારખાં, છાપ દેશે છાતીને મોઝાર;
ઝીલીને રૂદિયામાં એની છાપને, પહોંચવું દુનિયાને દુવાર.
કાળે રે ઉનાળે તરસ્યું ટાળવી, શોષી સઘળા તાપ;
ભીતરની ભીનાશું, ભાઈ, નવ મૂકવી; પડે ભલે તડકા અમાપ…
~ જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ (30.12.1910-5.1.1990)
કવિના કાવ્યસંગ્રહો 1. સંજીવની 2. મલયાનિલ 3. પ્રેરણાના પુષ્પો
કવિના જન્મદિને સ્મૃતિવંદના
પ્રતિભાવો