અમૃત ઘાયલ ~ કાજળભર્યાં નયનનાં Amrut Ghayal

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છે આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દુઃખ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાપણ મને ગમે છે!

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે. – અમૃત ઘાયલ

જેમની સેંકડો ગઝલ લોકહૈયે વસેલી છે એવા શાયર અમૃતલાલ ભટ્ટ ‘અમૃત ઘાયલ’ની આ અતિલોકપ્રિય રચના જેને મનહર ઉધાસે કંઠ આપીને બેહદ સુંદર બનાવી છે, લો, સાંભળળો.. 

સૌજન્ય : સુરેશ જાની

25.12.20

કાવ્ય : અમૃત ઘાયલ સ્વર : મનહર ઉધાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: