રવીન્દ્ર પારેખ ~ કોની વાતે

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

રવીન્દ્ર પારેખ

જાણીતા કવિ અને ‘પદ્ય’ સામયિકના તંત્રી રવીન્દ્ર પારેખની આ ગઝલ સુવાંગ સંવેદનસુગંધ લઈને અવતરી છે. શબ્દો, શૈલી અને રજૂઆત ન સ્પર્શે તો નવાઈ ! ટીપાં જેવી યાદોનું દરિયામાં પરિવર્તન અને તનહાઈને ‘હાથવગી’ કહેવામાં અનોખો રણકો અનુભવાય છે.

15.3.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: