મણિલાલ નભુભાઈ દ્વિવેદી – કહીં લાખો
અમર આશા
કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.
જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા અગર ગરદન કપાઈ છે.
ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં ગુમાવી એ કમાઈ છે.
જખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફના ખંજર,
કતલમાંયે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.
શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે.
ફના કરવું – ફના થાવું, ફનામાં શહ સમાઈ છે,
મરીને જીવવાનો મન્ત્ર, દિલબરની દુહાઈ છે.
ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશી થી તું,
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે.
સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે,
તડપ તે તૂટતાં અન્દર ખડી માશૂક સાંઈ છે.
ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે.
હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી, કલામો સખ્ત ગાઈ છે.
~ મણિલાલ નભુભાઈ દ્વિવેદી
કવિ મણિલાલ નભુભાઈ દ્વિવેદી નિબંધકાર, નાટ્યકાર, વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર, તત્ત્વચિંતક, અનુવાદક અને સમાજ સુધારક હતા. તેઓ ‘અભેદમાર્ગપ્રવાસી’ તરીકે જાણીતા સાહિત્યકાર હતા. ‘આત્મનિમજ્જન’ નામે એક કાવ્યસંગ્રહ તેમણે આપ્યો છે. ગઝલના વિકાસમાં તેમનો ફાળો નોંધપાત્ર છે. તેમની આ ‘અમર આશા’ ગઝલ ખૂબ જાણીતી થઈ છે. ગાંધીજીને પણ આ ગઝલ પ્રિય હતી. અને ‘કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે’ આ પ્રથમ પંક્તિએ તો સુવાક્યનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.
કવિના જન્મદિવસે સ્મૃતિવંદન.
26.9.21
***
Varij Luhar
26-09-2021
અમર આશા છુપાઇ છે’.. ખરેખર અમર કાવ્ય છે.. કાવ્ય વિશ્વ.. માં યથાસમયે જે તે કવિની શબદચેતનાને સ્થાન અપાય છે તે ખૂબ મોટું
સન્માન ગણાય.. વંદન ??
છબીલભાઈ ત્રિવેદી
26-09-2021
આજની મણીલાલ નભુભાઈ દ્વિવેદી ની ખુબજ જાણીતી રચના લાખો નિરાશા મા અેક અમર આશા છુપાયેલી છે તે પણ ખરી વાત છે ઈશ્ર્વર અેકાદ રસ્તો ખુલ્લો રાખેજ છે કવિ શ્રી ને વંદન આભાર લતાબેન
કવિ શ્રી ની ખુબ જાણીતી રચના ખુબ ગમી