મકરંદ દવે ~ મુસીબતોની વાત શું કરવી

🥀🥀

મુસીબતોની શું વાત કરવી ! મુસીબતો સૌ મતા બની છે,
અમારે તમરાં થકી ઘરની ભરીભરી શૂન્યતા બની છે.

તમારી સૂરત રમી રહીતી નજર નમી તો નજરની સામે,
નજર ઉઠાવી તો એક પળમાં જાણે ક્યાં બેપતા બની છે !

હરેક દિલમાં છે એક દેરી, હરેક દિલમાં છે એક મૂરત,
ફળે તોપણ તમામની જિંદગી અહીં માનતા બની છે.

કહો, શું કરવી ફરીફરીને પુરાણા જુલ્મોસિતમની વાતો ?
મને મહોબ્બત તણી બિછાતે ખુશીની ઝાકળ ખતા બની છે.

અમે તો ખાલી કરીને હૈયું તમોને સારી વ્યથા સુણાવી,
તમે કહો છો, જરૂર સારી, લખી જુઓ, વારતા બની છે.

સમૂળગી જ્યાં ઉખેડી નાખી ફૂટ્યા ત્યાં ટીશીટીશીએ ટશિયા,
ઢળી તો રાતાં ફૂલોથી કેવી લચેલ આશાલતા બની છે !

કહું શું કોને ઇશારે મારી રહીસહીયે સમજ સિધાવી,
હવે ભિખારણ થઈને ભમતાં બનીઠની સૂરતા બની છે.

~ મકરંદ દવે (13.11.1922 – 31.1.2005)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *