પદ્મશ્રી કવિ હલધર નાગ
પદ્મશ્રી કવિ હલધર નાગ
1950ની 31 માર્ચે કવિ હલધર નાગનો જન્મ ઓડિશાના બારગઢના એક ગરીબ પરિવારમાં થયો હતો. દસ વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ થયું. પિતાના મૃત્યુ પછી ત્રીજા ધોરણથી અભ્યાસ અટકી ગયો. ધાબામાં એઠાં વાસણો સાફ કરીને એમણે ઘરનું ગુજરાન ચલાવ્યું. એ પછી શાળામાં રસોડાની દેખરેખનું કામ મળ્યું.
કવિની પહેલી કવિતા “धोधो बारगाजी” (अर्थ : ‘पुराना बरगद’) 1990માં એક સ્થાનિક પત્રિકામાં પ્રકાશિત થઈ. એમણે આ પત્રિકામાં ચાર કવિતાઓ મોકલી હતી, બધી જ પ્રકાશિત થઈ. ત્યારબાદ કવિએ 1995ની આસપાસ સ્થાનીય ઉડિયા ભાષામાં ‘રામ-શબરી’ જેવા ધાર્મિક પ્રસંગો પર કાવ્યો રચીને લોકોને સંભળાવવાનું શરૂ કર્યું હતું. ભાવનાઓથી ભરી ભરી આ રચનાઓ ખૂબ લોકપ્રિય બની. અને ધીરે ધીરે એમની સાહિત્યયાત્રા પૂરજોશમાં ચાલી. કવિ હલધર નાગ માત્ર ત્રણ ધોરણ પાસ છે અને એમણે અત્યાર સુધીમાં વીસ મહાકાવ્ય લખ્યાં છે. એમને પોતાની તમામ રચનાઓ, વીસેય મહાકાવ્યો સહિત, કંઠસ્થ છે.
ઓડિશાના ‘કોસલી’ ભાષાના પ્રસિદ્ધ કવિ હલધર નાગને પોતે જે લખે છે એ બધું જ યાદ રહી જાય છે. કોઈ માત્ર નામ કે વિષય બતાવે તો તેઓ જે તે કવિતા કે જે તે વિષય પરના બધા કાવ્યો સંભળાવી દે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની મુલાકાતમાં એમણે કહ્યું કે યુવાન લોકો કવિતામાં રસ લે છે એ ખૂબ આનંદની વાત છે.
ઉડિયા લોકકવિ હલધર નાગ કહે છે કે દરેક પાસે કલા હોય છે, બસ એને આકાર દેવાવાળા લોકો ઓછા હોય છે.
2016માં કવિ હલધર નાગને પદ્યશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા.
આ ત્રણ ધોરણ પાસ કવિના સાહિત્ય પર પાંચ વિદ્યાર્થીઓ Ph.D કરે છે ! એમની અનેક કવિતાઓ યુનિવર્સિટીના પાઠ્યક્રમમાં ભણાવાય છે. સંભલપુર વિશ્વવિદ્યાલયમાં એમના સંગ્રહ ‘હલધર ગ્રંથાવલિ -2’ ને અભ્યાસક્રમમાં સમાવવામાં આવ્યો છે.
સાદગીભર્યા આ કવિ ધોતી અને બનીયાન જ પહેરે છે. પગમાં જૂતાં પહેરવાની એમને જરૂર લાગતી નથી ! એટલે જ લોકો તેમણે ‘ઉઘાડપગા કવિ’ તરીકે ઓળખે છે.
OP 9.9.22 & 23.7.21
***
છબીલભાઈ ત્રિવેદી
09-09-2022
હલધરનાગ વિશે ખુબજ રસપ્રદ માહિતી આપી અમારા જેવા બિન સાહીત્ય વાળા ને ઘણુ ઉપયોગી થાય તેવુ વાંચન આપ્યું આભાર લતાબેન
આભાર આપનો
24-07-2021
જી પ્રફુલ્લભાઈ, અગાઉ પણ બિનગુજરાતી કવિઓ વિષે લેખો મુકાયેલા છે. આભાર
પ્રફુલ્લ પંડ્યા
24-07-2021
કવિશ્રી હલધર નાગ વિશેની પરિચયાત્મક નોંધ ખૂબ ગમી.કાવ્ય વિશ્વમાં આ રીતે વિવિધ ભારતીય ભાષાઓનાં વિશિષ્ટ કવિનો પરિચય હવેથી મળતો રહેશે તેવી ધરપત પણ સાથે સાથે અનુભવી.આ એક ખૂબ સરાહનીય પ્રયાસ છે. પ્રિય લતાબેનને હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા
આભાર આપનો
23-07-2021
આભાર મેવાડાજી, છબીલભાઈ અને સુધાબહેન.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
23-07-2021
‘ઉઘાડપગા’ પદ્મશ્રી કવિ હલદર નાગને નમસ્કાર. કવિ આટલું સરસ કાવ્યત્વ પામ્યા, એ ખરેખર ખૂબ પ્રોત્સાહન ની વાત છે. લગન હોય તો શું ના કરી શકાય?
છબીલભાઈ ત્રિવેદી
23-07-2021
પદમ શ્રી કવિ હલધરનાગ વિશે ની ખુબજ રસપ્રદ માહિતી આપી, આવા રત્નો તો આપણી ભુમી મા ઘણા છે જરુર છે તેને શોધી ને પ્રોત્સાહિત કરવાની ખુબજ ઉમદા અને સાદગી સભર વ્યકતિત્વ વંદન આભાર લતાબેન
સુધા મહેતા
23-07-2021
બહુ વિલક્ષણ વ્યક્તિત્વ કહેવાય. બહુરત્ના વસુંધરા તે આ.
પ્રતિભાવો