અનિલ ચાવડા ~ હૃદય પર

🥀 🥀

*હૃદય પર ઘાવ મારીને*

હૃદય પર ઘાવ મારીને નયનથી શેક કરતાં’તાં,
સતત આ રીતથી મારું ગજુ એ ચેક કરતાં’તાં.

‘જશો નહિ આમ છોડીને મને’ એવું એ કહેતાં’તાં,
અને સામાન પણ મારો ઝડપથી પેક કરતાં’તાં.

અમારી જિંદગી તો સાવ હમણાં કહું એ થઈ ગઈ છે!
વિધાતા શું જીવનના લેખ છેકાછેક કરતા’તા?

બન્યો માનવ મટીને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો,
વિચારો જેમ વાનર ત્યાંય ઠેકાઠેક કરતાં‘તા!

પ્રભુ ચરણે, સ્મશાને લાશ પર, કે કોઈ પણ સ્થાને,
ગયાં જ્યાં ફૂલ ત્યાં ચોમેર મ્હેકામ્હેક કરતાં’તાં

પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે
થયું કે આની માટે રાતદાડો એક કરતા‘તા?

~ અનિલ ચાવડા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *