નિરુદ્દેશે
નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.
કયારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.
~ રાજેન્દ્ર શાહ
કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય કાવ્ય, આજે એમના જન્મદિવસે સ્મૃતિવંદના સાથે.
