ભગવતીકુમાર શર્મા ~ આશ્ચર્ય છે કે & ઉઘાડાં દ્વાર છોડીને

🥀🥀

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઈ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઈ.

ભીની હતી જો આંખ તો જીવંત રહી ગઇ
રેતીમાં પડતાંવેંત મરી માછલી ગઈ.

શ્વાસો ખૂટી ગયા અને મીંચાયા બે નયન
પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
રસ્તો ગયો, એ ઘર ગયું, તારી ગલી ગઈ.

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
છોડાવી મારી આંગળી ક્યાં લાગણી ગઈ?

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને
કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ !

આવ્યો છું કંઈ સદી પછી તારે આંગણે
ગાળી’તી ચાર ક્ષણ ને મને ઓળખી ગઈ ?

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?

~ ભગવતીકુમાર શર્મા (31.5.1934 – 5.9.2018)

🥀🥀

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર મારે શો ફરક પડશે ?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

~ ભગવતીકુમાર શર્મા (31.5.1934 – 5.9.2018)

4 Responses

  1. દેવેન્દ્ર બી રાવલ says:

    વાહ બેમિસાલ ગઝલ

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    ભગવતી કુમાર નામ સાર્થક થઈ જાય એવી સરસ રચનાઓ

  3. ખુબ સરસ રચનાઓ ખુબ ગમી

  4. ઉમેશ જોષી says:

    બન્ને ગઝલ સંવેદનશીલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: