લતા ભટ્ટ ~ ઝીલી શંકરે જેને જટામાં

🥀🥀  

ઝીલી શંકરે જેને જટામાં, સરિતા છું,
અધ્યાયો અઢારેયે સમાવેલી હું ગીતા છું.

જો માંગીશ તો મુશ્કેલ,અશ્રુનો હિસાબ દેવો,
પુરુષો થકી નિત્યે રચી, આચારસંહિતા છું.

ગાર્ગી ગૌતમી થઇને વિહરતી આકાશે તો,
રંભા મેનકા સમ ક્યાંક હુ રૂપગર્વિતા છું.

સ્વયં મને સદા સિદ્ધ કરવા હું મથતી,
જગના એરણે આજે પરખાતી સીતા છું.

ઇતિહાસના પાને ભલે ઉલ્લેખ મારો નહિ,
ઇતિહાસ મારાથી રચાતો, વનિતા છું

~ લતા ભટ્ટ

સ્ત્રી શું છે ? કવિતા શું છે ? જેને હજારો, લાખો લોકો વર્ણવે, જેના માટે શબ્દોના સાતે સમંદર ઘુઘવે તોયે એને પૂરું પામી ન શકાય, પૂરું વર્ણવી ન શકાય એવી એક ઘટના. ક્યાંક અલંકારોના ધોધ ઓછા પડે અને ક્યાંક સાવ સાદા બે-ચાર શબ્દોમાંય એને અનુભવી શકાય !! મહાકવિ કાલિદાસ અને સંત તુલસીદાસથી માંડીને આજ સુધીમાં સ્ત્રી વિશે કેટકેટલું કહેવાયું છે ! લો, કવયિત્રી લતા ભટ્ટ આ જ વિષયમાં એની પોતાની વાત લઇને આવે છે.

નાયિકા કહે છે, હું એ સરિતાનું સ્વરૂપ છું જેને ભગવાન શંકરે સ્વર્ગમાંથી પોતાની જટામાં ઝીલી. એ ગીતા છું જેને મહાભારતના યુદ્ધમાં રણમેદાનમાં અર્જુનને ઉપદેશ આપવા શ્રીકૃષ્ણે પૂરા અઢાર અધ્યાયમાં ગાઇ. હું ગાર્ગી છું ને ગૌતમીય છું. આ પૃથ્વી પર મારા પગ ન છબે તો રંભા અને મેનકા જેવી રૂપગર્વિતા થઇ આકાશે વિહરું છું. કેટકેટલા નામો આપું !! મારા સ્વરૂપને ઓળખવા બધું અધુરું છે. મારા કારણે યુદ્ધો થાય છે અને મારાથી એ સમેટાય છે. મારાથી જ ઇતિહાસ રચાય છે. બધી જ મહાન, જગવિખ્યાત ઘટનાઓનું મૂળ હું છું.

આ વાત થઇ, સ્ત્રીની વિશેષ શક્તિની પણ એની રોજબરોજ જીવાતી જિંદગીનું શું ? નાયિકા કહે છે, એમાં મારે માટે માત્ર અને માત્ર અશ્રુ લખાયા છે. અઢળક અશ્રુ લખાયા છે. બેહિસાબ આંસુ લખાયા છે. હે પુરુષ, મારા આંસુ, મારી પીડા, એ તારી સતત રચાતી રહેતી નવી નવી આચારસંહિતા થકી છે. તેં મારા માટે નિત નવા નિયમો ઘડ્યા. તેં મને સતત બાંધવા ચાહી, રોકવા ચાહી, નાથવા ચાહી. તારા આ વર્તાવે મારી જિંદગીને કેટલી કાંટાળી બનાવી એ તું એ કદી સમજી નહીં શકે. તારા માટે આસાન છે, મારા માટે લક્ષ્મણરેખાઓ દોરવી.. અને એટલે મારા આંસુઓનો તું ક્યારેય પાર નહીં પામી શક. તારે મારી અગ્નિપરીક્ષા લીધા કરવાની છે અને હું ઇચ્છું કે ન ઇચ્છું, મારે સદા મારી જાતને આ જગતની એરણ પર સાચી સાબિત કરતાં રહેવાનું છે, પવિત્ર સિદ્ધ કરતાં રહેવાનું છે. મારી આ કસોટી ક્યારે ખતમ થશે ?

વાત સીધીસાદી છે. એક સ્ત્રીના જીવનની બરબાદી છે. જાતને ઘસી નાખવા છતાં હંમેશા એના પોતાના સુખની બાદબાકી છે આપણે કહી શકીએ કે આનો કોઇ ઉપાય નથી જ્યાં સુધી સમાજ નહીં બદલાય, પુરુષોની માનસિકતા નહીં સુધરે! પણ ના, ઉપાય છે ખરો અને એ માત્ર એના પોતાના હાથમાં છે. એની પીડા કોઇ નહીં દૂર કરી શકે. એણે પોતે જાગવું પડશે. અવાજ ઉઠાવવો પડશે. ભલે એના બદલામાં કંઈક ખોવું પડે ! એકવાર જે શક્તિ બનીને જાગશે ત્યારે એનાથી જગ અંજાશે. જ્યારે એનું રૌદ્રરૂપ પ્રગટશે ત્યારે ભલભલા સૂર-અસૂર આપોઆપ એના ચરણોમાં આળોટશે.

એણે પોતાના તેજને ફરી જગાવવું પડશે અને પછી કોઇની તાકાત નથી કે એની સામે નજર માંડીને જોઇ શકે. આપણા ધર્મોમાં તો એના અનેક ઉદાહરણો છે. માતાએ કાળકા સ્વરૂપ શા માટે ધારણ કર્યું હતું ? એ મહિષાસૂરમર્દિની ક્યારે બની હતી ? સ્ત્રી જગત્જનની છે, શક્તિસ્વરૂપા છે, ચિદાનંદરૂપા છે. સ્ત્રી એ શક્તિ છે જેને દેવો પણ નતમસ્તકે કર જોડીને નમસ્કાર કરે છે.  

યા દેવી સર્વ ભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા / નમસ્તસ્યે, નમસ્તસ્યે, નમસ્તસ્યે નમો નમ:’

જુઓ આ મધુમતી મહેતાનું કાવ્ય..

એક યુગ ઢંઢોળવામાં લાગશે
પણ પછી એ રુદ્ર થઇ હંફાવશે

કાલ માગી’તી ધરા પાસે જગા
આજની સીતા જવાબો માગશે

પાર કરશે લક્ષ્મણી રેખા અને
એ જ રાવણને પછી સંહારશે

ચીર પૂરવા પ્રાર્થના કરશે નહીં
એ દુશાસનના જ હાથો વાઢશે

ધૂળથી મસ્તક ઊંચકશે ગર્વથી
ખોખલી મરજાદ સર્વે ત્યાગશે

પલ્લવિત કરશે નવું જીવન અને
એક નવયુગમાં સમયને સ્થાપશે….

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 142 > 24 જૂન 2014

8 thoughts on “લતા ભટ્ટ ~ ઝીલી શંકરે જેને જટામાં”

  1. Kirtichandra Shah

    Purushie racheli Achar sahinta chu. But
    Marathi rachto itihas…e Vanita chu

  2. કવયિત્રી લતાજી એ પુરા કલ્પનોને સમાવીને સરસ સ્ત્રીઓની વેદનાઓ, સંવેદનાઓ અભિવ્યક્ત કરી છે. કવયિત્રી મધુમતી મહેતાની ગઝલ પણ એવીજ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *