અનિલ જોશી ~ સૂકી જુદાઈની ડાળ

🥀🥀

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ, તમો આવો તો બે’ક વાત કરીએ…

ફાગણ ચાલે ને એનાં પગલાની ધૂળથી, નિંદર ઊડે રે સાવ કાચી
જાગીને જોયું તો ઊડે સવાલ, આ તે ભ્રમણા હશે કે વાત સાચી,
જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં પરપોટા વીણતા દરિયે
સૂકી જુદાઇની ડાળ તણાં….

કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં, ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં આંસુ ચણોઠી થઇ જાતાં !
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ,
મરવા દીયે તો કોઇ મરીયે !

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ તમો આવો તો બે’ક વાત કરીએ…

~ અનિલ જોશી (28.7.1940 – 26.2.2025)

શબ્દો, અવાજ અને ગીતો હવે કવિ વિના ભટકશે……

🙏🏻કવિના આત્માને વંદન🙏🏻

7 thoughts on “અનિલ જોશી ~ સૂકી જુદાઈની ડાળ”

  1. કવિના ગીતોનો લય એક અનેરા ભાવવિશ્વમાં ભાવકને પ્રવેશ કરાવે છે. એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના..

  2. સદ્ગત કવિ સાહિત્યકાર અનિલ જોશી ને હાર્દિક શ્રધ્ધાંજલિ. નવી કવિતાઓ/ગીત મૂક્યાં એ ગમ્યું.

  3. SARYU PARIKH

    પીળચટ્ટા ગીતમાંથી ઊડીને પતંગિયાં આવળના ફૂલ થૈ છવાય! … અનિલ જોશી ને હાર્દિક શ્રધ્ધાંજલિ. કવિતાઓ/ગીત મૂક્યાં એ ગમ્યું.

  4. ઉમેશ જોષી

    કવિની દિવ્યચેતનાને વંદના.

  5. સત્યમુની

    પ્રકૃતિમાં જીવન ગાનારો કવિ હતો.તેમના કાવ્યો થકી સદા સ્મરણમાં રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *