
🥀🥀
ડાળ આ વિશ્વાસની તૂટી જશે નો’તી ખબર,
રાહબર મારા મને લૂંટી જશે નો’તી ખબર.
વાસ્તવિકતા આખરે તો વાસ્તવિકતા હોય છે,
કલ્પનાના મહેલ સૌ તૂટી જશે નો’તી ખબર.
એક સરવાળો કર્યો તો બાદબાકી થઈ ગઈ,
વય વધે તો આયખું ખૂટી જશે નો’તી ખબર.
વેદનાની વાડ ઠેકી દોસ્તો મારા બધા,
લાગણીનાં ફૂલને ચૂંટી જશે નો’તી ખબર.
ઠાલવ્યું’તું દિલ અમે દરિયો ગણીને એમને,
આમ પરપોટો થઈ ફૂટી જશે નો’તી ખબર.
એક અમથી વાત એનું કાળજું વીંધી ગઈ,
શબ્દ મારા બાણ થઈ છૂટી જશે નો’તી ખબર.
આ જગતનાં દર્દ પર રડવું હતું મારે ‘અમીર’,
આંખમાંથી આંસુઓ ખૂટી જશે નો’તી ખબર.
~ દેવદાસ શાહ ‘અમીર’ (15.11.1937 – 24.7.2019)
ફોટો સૌજન્ય : રેખ્તા

વાહ! હ્રદયસ્પર્શી રચનાઓ.
એક સરવાળો કર્યો તો બાદબાકી થઈ ગઈ,
વય વધે તો આયખું ખૂટી જશે નો’તી ખબર.
અમીરની રચનાઓ પણ અમીર ભાવથી છલકે છે. ધબકાર કાવ્યગોષ્ઠીમાં તેમને અનેક વખત માણેલા.
વાહહહ બધી જ ગઝલ લાજવાબ…એ નદી તો વાહહહહ