🥀🥀
*સરવાળે શૂન્ય છે*
આઠે પ્રહરનું રાવણું – સરવાળે શૂન્ય છે,
વિરાટ હો કે વામણું – સરવાળે શૂન્ય છે.
પાછળ છે સજ્જ લશ્કરો અંધારનાં અપાર
આ સૂર્ય જેવું તાપણું – સરવાળે શૂન્ય છે.
જીવન મળ્યું છે જીવવા તો મોજથી જીવો
થોડુંક હો કે હો ઘણું – સરવાળે શૂન્ય છે.
આ ઘરનો ઝળહળાટ છે ઊછીના તેજથી
થાતાં જ બંધ બારણું – સરવાળે શૂન્ય છે.
અજ્ઞાનમાં ડૂબું યા તરું જ્ઞાન-સાગરે
જગને ભણાવું યા ભણું – સરવાળે શૂન્ય છે.
પડછાયો મારો પણ કદી મારો નથી થયો
ખુદને ગણું કે અવગણું – સરવાળે શૂન્ય છે.
‘સાહિલ’ હું મર્મ આયખાનો જાણી શું કરું
સોહામણું – બિહામણું – સરવાળે શૂન્ય છે.
~ સાહિલ (29.8.1946 – 27.1.2024)
કવિ સાહિલ નું મૂળ નામ પ્રવીણભાઈ શામજીભાઈ ચૌહાણ.
50 વર્ષ સતત નિરંતર ગઝલનું સર્જન કરતા કવિ સાહિલ ગુજરાતીની સાથે હિન્દીમાં પણ અનેક ગઝલ લખી છે. આના માટે તેઓ ઉર્દુ શીખ્યા.

ગઝલો સરસ ઊતરી આવી છે.
ખૂબ જ સરસ ગઝલ, બંને ગઝલ વિચાર માગી લે તેવી છે.
બને રચનાઓ સુંદર અને ભાવવાહી છે
વાહ 👌👌