સુરેન્દ્ર કડિયા ~ વહી વહીને

કેટલી હદે !

વહી વહીને વહી શકીશ તુંય કેટલી હદે !
ઝરમરમાં ઝરમરીશ તુંય કેટલી હદે !

અંતે તો આંખથી જ પ્રગટવાનું આવશે
ભીતરમાં ખળભળીશ તુંય કેટલી હદે !

કિરદાર એક વાર અમર થઈ ગયા પછી
નેપથ્યમાં સરીશ તુંય કેટલી હદે !

ચાહીશ તોય કોણ તને આપશે દુઆ !
લાશોને કરગરીશ તુંય કેટલી હદે !

અસ્તિત્વના પ્રવાહીપણાનો સવાલ છે
રેતીમાં દડદડીશ તુંય કેટલી હદે !

~ સુરેન્દ્ર કડિયા

હદની હદ હોય? હા…. અહીં કવિને એ જ અભિપ્રેત છે. વહેવાની, ઝરમરવાની, ખળભળવાની, છુપાવાની, કરગરવાની કે દડદડવાની હદ કવિ દર્શાવે છે. આ હદો હૃદયની છે, હૃદયમાં સર્જાય છે એટલે એ એને તોડી શકે પણ તોય…. તોડીતોડીનેય કેટલું તોડવાનું? ફરી ત્યાં હદનો જ પ્રશ્ન આવીને ઊભો રહે. આ હદને ચીતરવામાં કવિએ કેટકેટલાં વાનાં ખપમાં લીધા છે! એ કાવ્યાત્મક બેહદનું દર્શન કહી શકાય. ‘અંતે તો આંખથી જ પ્રગટવાનું આવશે….’ આ શેરમાં જાણે શબ્દો મોતી બની ગયાં છે….   

6 thoughts on “સુરેન્દ્ર કડિયા ~ વહી વહીને”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    પહેલી ગઝલ હદ બેહદ ગમી જાય તેવી છે જ.બીજી ગઝલના શેર પણ આસ્વાદ્ય. તમારી ટિપ્પણીઓ પણ રચનાના ભાવવિશ્વ પાસે લઈ જનારી.

  2. બંને રચના એના આસ્વાદ સાથે સરસ છે.

  3. “તું શિખરો સર કરે પણ શી રીતે?
    તેં તળેટી ચાહીને ચાહી નથી.” સફળતા કોને અને કેમ મળે છે! તેનું મૂળ કારણ…
    સરયૂ પરીખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *