ઉમાશંકર જોશી ~ ગયાં વર્ષો તે તો * Umashankar Joshi

ગયાં વર્ષો

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં !

ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે.

સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો.

અહો હૈયું ! જેણે જીવવતર તણો પંથ જ રસ્યો.

ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા.
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં –
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં !

~ ઉમાશંકર જોશી   

4 Responses

  1. ખુબ સરસ કાવ્ય સ્મ્રુતિવંદન

  2. Minal Oza says:

    અર્થસભર રચના. કવિશ્રીને ભાવ વંદના.

  3. ઉમેશ જોષી says:

    સાદર સ્મરણ વંદના.

  4. ખૂબ જ સરસ શિખરિણી સોનેટ. વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: