નાઝીર દેખૈયા ~ ખુશી દેજે જમાનાને * Nazir Dekhaiya
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.
સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.
જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.
જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.
હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.
~ નાઝિર દેખૈયા 13.2.1921 – 16.3.1988
કવિ નાઝીર દેખૈયાનો જન્મદિવસ. એમના આત્માને વંદન સહ એમની ખૂબ જાણીતી રચના અહીં માણો.
વાહ, મારી ખૂબ જ ગમતી ગઝલ. શાયર નાઝિર જીને સ્મૃતિ વંદન.
કેટલીક ખૂબ જાણીતી ગઝલમાંની આ એક.
સાદર સ્મરણ વંદના.
સ્મ્રુતિવંદન ખુબ સરસ રચના
Superb 👌
Superb