મારા વડે
કોણ અજવાળું અડે આ પડછાયો પડે?
છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે?
દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે?
કોણ ચાવી? કોણ તાળું? કોણ શું આપસ મહીં?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?
આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે!
બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી…જ પાણી’…કાં’ ન પાણી પરવડે?
~ ‘અગમ’ પાલનપુરી
‘અગમ’ તખલ્લુસ રાખનાર કવિને અગમની શોધ હોય એ સમજી શકાય એવી વાત છે. દૃશ્ય અને અદૃશ્યમાં એને જ દેખનાર ખરો ભાળનારો છે. બાકી સર્વે, ‘દેખણહારા દાઝે જો…’

શુભેચ્છાઓ. બંને રચનાઓ ખૂબ જ સુંદર છે.