શયદા ~ હૃદય-મંથન કરી * Shayda

હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.

ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.

યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.

સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.

હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.

તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.

દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.

મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.

વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.

~ શયદા (હરજી લવજી દામાણી) 24.10.1892 – 30.6.1962

1 Response

  1. શાયર શયદા ને શ્રધાંજલિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: