નરસિંહ મહેતા – એવા રે અમો * Narsinh Maheta
એવા રે અમો એવા રે, વળી તમે કહો છો તેવા રે
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.
જેનું મન જે સાથે બાંધ્યું, પહેલું હતું ઘર રાતું રે
હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે ગાતું રે.
કરમ-ધરમ ની વાત જેટલી, તે મુજને નવ ભાવે રે
સઘળા પદારથ જે થકી પામ્યો, તે મારા પ્રભુજીની તોલે ના’વે રે.
સઘળા સંસારમાં એક હું ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે
તમારે મન માને તે કહેજો, નેહડો લાગ્યો છે મને ઊંડો રે.
હળવા કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે
હરિજનથી જે અંતર ગણશે, તેના ફેરા ફોગટ ઠાલા રે….
~ નરસિંહ મહેતા
9.10.2020
પ્રતિભાવો