રશીદ મીર ~ સન્નાટો

ભાંગતી રાતનો આ સન્નાટો,
ભીંતને કોઈ બારી તો આપો .

આટલી સ્તબ્ધતા હતી કયારે,
ઓસનો સાંભળું છું ધુબાકો.

તે પછી ઊંઘવા નથી દેતો,
થોડી રાતોનો તારો સથવારો.

એય ઉપકાર બની જાયે છે,
કોઈ વેળાનો હળવો જાકારો.

કૈં દયા એની ઉતરી એવી,
મેં ત્યજી દીધા સૌ અધિકારો.

ભરબપેારે શહેરની વચ્ચે,
હુંય શોધું છું મારો પડછાયો.

એના અંગેની ધારણાઓ ‘મીર’,
કેવો આપે છે મનને સધિયારો !

~ રશીદ મીર

10 thoughts on “રશીદ મીર ~ સન્નાટો”

  1. ઔંસનો ધુબાકો તો કેળવાયેલા કવિના કાન જ સાંભળે.
    આપ જબરી મહેનતથી સાહિત્યસેવા કરી રહ્યા છો. ખૂબ સુકામનાઓ

  2. રેખાબેન ભટ્ટ, ગાંધીનગર

    ભરબપોરે શહેરની વચ્ચે હું યે શોધું છું મારી પડછાયો… વાહ ખૂબ .. 🌹🌹

  3. દિનેશ ડોંગરે નાદાન

    ડૉ રશીદ મીર અમારા વડોદરાના નોખી ભાતના ગઝલકાર, વિવેચક અને તંત્રી. એમના માર્ગદર્શન હેઠળ ગઝલકારોની ફોજ તૈયાર થઈ. એમની ગઝલોની ભાષા, કલ્પન-પ્રતિક અને શેઅર કહેવાની પધ્ધતિ અલગ તરી આવે છે. પ્રસ્તુત ગઝલ એનો ઉત્તમ દાખલો છે.

  4. 'સાજ' મેવાડા

    રશીદ મીર સાહેબ આમતો મારા ગઝલગુરુ, મિત્ર વધારે હતા. સ્મૃતિવંદન.
    આટલી સ્તબ્ધતા હતી કયારે,
    ઓસનો સાંભળું છું ધુબાકો.

  5. શામજીભાઈ માણિયા

    ભર બપોકે ખોવાય ગયો છે પોત પોતાનો પડછાંયો….ઉત્મ !!

    “શૈત્યરશ્મિ”

  6. શામજીભાઈ માણિયા

    ભર બપોરે ખોવાય ગયો છે પોત પોતાનો પડછાંયો….ઉત્તમ !!

    “શૈત્યરશ્મિ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *