હરિવલ્લભ ભાયાણી ~ ‘ઇન્સ્ટટ કવિ ત્રેપનમો’
સર્જક તર્જક થઈને ફરે
તર્જક સર્જક થઈને ચરે,
વિવેચક વેચકને ચૂમે
વેચક વિવેચકને જમે,
એકનું થાપ્યું બીજો હણે
‘તું નહીં’, ‘તે નહીં’ હું હણહણે. –
સખા! એહ અંધારે કૂવે
ફૂટવા ઝઘડા જીવતા જીવે.
વિવેચન વિરેચન જાણ
વેરી-વધેરક કલમ-કૃપાણ.
પામરને આની કશી પ્રીછ?
એકોઽહં પણ મોં દશવીશ.
છે કો જલમ્યો સમજે કુછ ?”
વળ દ્યો – છો ચોડેલી મૂછ.
બાવનના બસ ખડકો ગંજ
લખે તે જ વાંચે – શો રંજ?
એકવીશમીનું એ અદ્વૈત
કોશિયા-બોચિયાની કશી ગત્ય?
બાવનનો બઢિયો વેપલો
અખે લૂંટીઝૂટી ભર્યો ટોપલો.
~ હરિવલ્લભ ભાયાણી
ડો. હરિવલ્લભ ભાયાણી વિખ્યાત વિદ્વાન અને સંસ્કૃતના પંડિત. આં કવિતા તો એમના સમયમાં લખાઈ હશે પણ આશ્ચર્ય થાય છે કે એમણે ‘’ઇન્સ્ટટ કવિ ત્રેપનમો’ શીર્ષક આપ્યું છે ! ત્યારે પણ આવા ‘પરપોટા કવિઓ’ હતા અને આજે પણ એ એટલું જ ઉપયુક્ત છે. એમાં ‘ત્રેપનમો’ને બદલે ‘ત્રણહજાર ત્રેપનમો’ કરીએ તો ચાલે !!!
મૂળે કવિતા ખૂબ અઘરો અને છતાં ખૂબ લલચામણો સાહિત્યપ્રકાર છે. કવિતા પ્રેમ ધરાવતા કેટલાયને લાલચ થઈ જાય કે ‘હુંય લખી શકું!’ અને પછી વિદ્વાનોએ આવી કવિતા લખવી પડે.
ખુબ ચોટદાર વાત કવિ શ્રી અે કાવ્ય દ્નારા કહી છે શત શત પ્રણામ
સહુ કવિપદ માટે પડાપડી કરતા અને કૂદાકૂદ કરતા કપિકવિઓને આ કવિતા અર્પણ
લખનારે સો વાર વાંચવું જોઇએ પોતાનું લખેલું જ
અને
પછી તે ફાડી નાખવું જોઇએ.
જો તે યોગ્ય હશે
તો તે
ફાડી નાખ્યા પછીય અવતરશે જ
અને ટકશે પણ.
પણ આટલી બધી હિંમત મારામાં તો નથી જ.
આવું સત્ય કહેનારા હવે ઓછા છે.
આવા નિર્ભિકતાથી વાત કરનારા કેટલા? સૌએ ધડો લેવા જેવી વાત કરી છે. વંદન.