આશા પુરોહિત ~ તું ગઈ * Aasha Purohit
તું ગઈ ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.
ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.
કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.
એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.
હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.
– આશા પુરોહિત
કોઈના જવાથી એની સાથે સાથે કેટલું જતું રહે છે એની જનારને કદાચ કલ્પનાયે ન આવે, અને જો આવી શકે તો એ જાય નહીં ! આખા અસ્તિત્વને આવરી લેતો એક અવસાદનો ભાવ સૂત્ર બનીને આખી ગઝલમાં પરોવાયો છે. સ્ત્રીઓ પોતાની સંવેદનાની અભિવ્યક્તિ કાવ્યો દ્વારા કરે છે અને એ નાયિકા રચે છે. સ્ત્રીની કવિતામાં નાયકના મનોભાવ જવલ્લે જ જોવા મળે છે. આ એમાનું એક કાવ્ય છે અને એટલે એ રીતે અલગ છે.
29.12.20
પ્રતિભાવો