🥀 🥀
બે-ચાર છાંટાથી છીપે એવી નથી મારી તરસ;
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.
નાખ છત્રીને ધરામાં નિર્વસન થઈને નીકળ,
આવું ચોમાસું ભલા, ન આવતું વરસોવરસ.
મધમધું હેમ થઈ, ને ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ, એ રીતે સ્પરશ.
અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ!
સાંકડે મારગ મદોન્મત્ત હાથણી સામે ખડો,
કાં છૂંદી નાખે મને, કાં મસ્તકે ઢોળે કળશ!
~ પુરુરાજ જોશી (14.12.1938 – 12.12.2020)
