સંજુ વાળા ~ ન પૂછીએ

કૈં…

ન પૂછીએ કંઈ જ, નથી જાણવું કૈં
સહજ ચાલ્યા કરવું નથી પામવું કૈં

નહીં સાધુતા કે ન હો જાપવું કૈં
ગરથ જ્ઞાનનું નહિ, ના આરાધવું કૈં

નિયમ,આચરણ,ધ્યાન,સતસંગ,રોજા-
પરેજી ના કોઈ, નથી લાંઘવું કૈં

અહાલેક અથવા તો અલ્લાહુ અકબર
ભલે એક હો પણ ના આલાપવું કૈં

બને તો કૈં એવું કરી છૂટવું કે-
કશું પણ ન લેવું સતત આપવું કૈં

પુરાતનનો વ્યામોહ, ઘખના નવાની
જતન કે ઉથાપન કે ના સ્થાપવું કૈં

વિચારો ને વ્યવહાર, વાણીય નૂતન
હજો આંગળીથી નિતરતું નવું કૈં

~ સંજુ વાળા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *