દયારામ ~ શ્યામ રંગ

શ્યામ રંગ સમીપે ન જાવું

શ્યામ રંગ સમીપે ન જાવું મારે
આજ સખી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું,
સર્વમાં કપટ હશે આવું.
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં,
કાજળ ના આંખમાં અંજાવું. મારે….

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને,
કાગવાણી શકુનમાં ન લાવું.
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું,
જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે….

મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ના જોવા,
જાંબુ-વંત્યાક ના ખાવું.
’દયા’ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,
મન કહે જે ‘પલક ના નિભાવું’. મારે….

~ દયારામ 

દયારામે કૃષ્ણપ્રેમનું ગાન કર્યું છે. ગરબીઓ માટે તેઓ પ્રસિદ્ધ છે. ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન કવિ છે. એમણે વ્રજ, ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષામાં લખ્યું.

‘રસિકવલ્લભ’, ‘પુષ્ટિપથરહસ્ય’, ‘ભક્તિપોષણ’, ‘દયારામ રસસુધા’, ‘પ્રબોધબાવની’, ‘અજામિલાખ્યાન’ એમના પદ્યસંગ્રહો છે. ભાગવતનો 131 પદમાં સ્કંધવાર સાર આપતું કાવ્ય ‘ભાગવતાનુક્રમણિકા’ તેમણે વ્રજભાષામાં લખ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *