*મન મનાવું છું હજી*
આપણા થાશે કદી હું મન મનાવું છું હજી;
એમ ગઈ આખી સદી હું મન મનાવું છું હજી.
આ તરસનો એક છેડો ખૂબ લંબાતો ગયો ;
સાત સુકાણી નદી હું મન મનાવું છું હજી.
આવવાનો છે સમય એવા દિલાસામાં રહ્યો;
હરેક પળ એમ જ વદી હું મન મનાવું છું હજી.
એક પણ સપનું ફળે એવું કદી આવ્યું નહીં
રોજ થઈ જાતાં રદ્દી હું મન મનાવું છું હજી.
આ તમસથી તંગ થઈને પણ હજી હાર્યો નથી;
ઊગવાનો કોક દી હું મન મનાવું છું હજી.
~ શિવજી રૂખડા
મન મનાવવાની વાતમાં આ વિશ્વનો કોઈ માનવી બાકાત નથી. તરસના છેડા અનંત છે, સાત નદી તો નહીં સાત મહાસાગર પણ એ સૂકવી શકે. બસ, ટકી રહેવાય તો આ વાતે ‘ઊગવાનો કો’ક દિ’…’ કવિ કલ્પનાનું સત્ય અને વાસ્તવનું સત્ય સાથે મૂકી આપે છે.
****
