ડૉ. મુકેશ જોષી ~ હું કહી શકું

આ ક્ષિતિજ થોડીક આવે પાસ, તો હું કહી શકું;
કાં પછી જો થાય એવો ભાસ, તો હું કહી શકું…..

કેટલાં જન્મો તણી છે વાત બાકી રહી હજી!
એટલા ચાલે અગર આ શ્વાસ, તો હું કહી શકું……

વાત છે, શબ્દોય છે, કહેવુંય છે ને છે સમય;
કોઈ જો એવું મળેને ખાસ, તો હું કહી શકું…..

સાંજ પડતી હોય છે સંબંધમાં ક્યારેક તો;
સ્હેજ પાછો થાય જો અજવાસ, તો હું કહી શકું…..

તું મને પૂછ્યા કરે છે રોજ સરનામાં વિશે;
ઈશનો જો એક હો આવાસ, તો હું કહી શકું……

આમ તો થોડા હજીયે શે’ર તો કહેવા જ છે;
કાફિયાના જો મળે ને પ્રાસ, તો હું કહી શકું…..

~ ડૉ. મુકેશ જોષી

‘વાત છે, શબ્દોય છે…….’ આવો અનુભવ સંવેદનશીલ માનવીને થતો જ રહેતો હોય….. પણ ‘એવું કોઈ’ મળે… એ તો નસીબ!

અને આ શેર ખૂબ ગમ્યો. ‘સાંજ પડતી હોય છે સંબંધમાં’ એકધારો પ્રકાશ્યા રાખે એવો કોઈ સંબંધ હોય ખરો? ‘ના’. દરેક સંબંધમાં ઉતાર-ચડાવ આવતા જ રહેતા હોય છે. એ ગમે એટલો ઘનિષ્ઠ કેમ ન હોય! અને ત્યારે એક પક્ષે તો ઘણું કહેવાનું હોય જ છે….. અને અજવાસના એકાદ કિરણની રાહ જોયા વગર શબ્દો હોઠે નથી આવી શકતા…..

4 Responses

  1. ઉમેશ જોષી says:

    …તો કહી શકું
    વાહ કવિ ખૂબજ સરસ ગઝલ છે.

  2. વાહ ખુબ સરસ રચના ખુબ ગમી અભિનંદન

  3. ખૂબ સરસ ગઝલ, બધાજ શૅર સરસ.

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    ગઝલનું ભાવવિશ્વ અલગ છે. ઘણા શેર એવા છે કે જ્યાં મન થંભી જાય અને કવિતાનું અનનુભૂત વિશ્વ આપણને અજાણ ભૂમિકાઓ બતાવે. અભિનંદન. શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: