વ્રજલાલ દવે ~ અમસ્તાં અમસ્તાં

અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
સમંદરની માયા ગગનને રસે છે !

ઢળેલી ક્ષિતિજોની પાંપણ ભીની છે,
ઝૂક્યાં ઓ જલોની શી પાંખો શ્વસે છે !

અમોને શું પૂછો ધરા વીજ રહેશે ?
ધરાનાં જ ધાવણ ઘનોની નસે છે !

હવાની લીલાને તો પર્ણો હીંચોળે,
પુરાણાં થડોમાંય ઝાંયો વસે છે.

ધગેલા કિરણને તો છાંયો મળી ગ્યો,
વહેતી ભીનાશોની કાયા હસે છે.

સીધા નિર્ઝરોમાંય છલતી જવાની,
જાણું : નદીનાં જલો ક્યાં ધસે છે ?

મળી ગઈ છે મોસમ ગગન રોપી લેશું;
લપાયલ નિસાસા ભલે-ને ધસે છે !

અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
અમારાંય હૈયાં ગગનને રસે છે !

~ વ્રજલાલ દવે

કવિના જન્મદિવસે સ્મૃતિવંદના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: