પ્રિયકાંત મણિયાર ~ એકલી ઊભી * Priyakant Maniyar

એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ !
ક્યાંક બેઠેલો કદંબ-ડાળે
કાનજી ઝૂક્યો જળની પાળે
એની તરતી છબિ સરકી આવી જળના વ્હેણની વાટ !
એકલી ઊભી જમનાજીને ઘાટ….
કરથી સાહી કેમ તે ધારું ?
ઘટની માંહે કેમ હું સારું ?
અવરને દેખાય ન કાંઈ કોણને કહું ઉચાટ ?
એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ !
~ પ્રિયકાંત મણિયાર
આ ગીતમાં ઘણા અર્થો સમાયેલા છે. જે સીધી તારવી શકાય એ વાત….
ગોપી જળ ભરવા જાય અને એને થયેલી અવઢવ કવિએ વર્ણવી છે. જમુનાજળમાં કદંબડાળે બેઠેલા નટખટ કાનુડાનું પ્રતિબિંબ પડે છે. ગોપી સ્વાભાવિક જ એ જોવામાં લીન થઈ જાય છે. જો ઘટને જળમાં ડૂબાવે તો પાણીમાં પ્રતિબિંબ ન રહે ! કાનુડાને જોવો કે જળ ભરવું ? જીત તો પ્રેમની જ થાય !
એકલી ઊભી જમનાજીને ઘાટ… વાહ..
સરસ ગીત અેકલી ઉભી જમનાજી ને ઘાટ અભિનંદન
ખૂબ સરસ ગીત