કવિ કૈલાસ પંડિત ~ આર.પી.જોશી * Kailas Pandit  

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા  ગયા  પછી જ મારી વાત થઈ હશે. ~ કૈલાસ પંડિત

પરંપરિત ગુજરાતી ગઝલને દ્રઢમૂલ કરનાર શાયરો પૈકીના એક અગ્રણી શાયર કૈલાસ પંડિત. આ કવિની માતૃભાષા हिन्दी હોવાં છતાં ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું યાદગાર પ્રદાન છે.

પોતીકા ભાતીગળ ભાવસંવેદન અને સરળતાસભર બાનીમાંય ઊંડાણ અને ઊંચાઈને તાકતા આ શાયરે  1994 માં એટલે કે ફક્ત 53 વરસની ઉમરે ચિર વિદાય લીધી.

કવિના કાવ્યસંગ્રહો

દ્વિધા 1978 2. સંગાથ 1983 3 ઉમળકો 1991 4. ખરાં છો તમે 1995 (સમગ્ર કવિતા)

સુખનવન કવિ (સંપાદન દસ પુસ્તિકાઓ)   

આ શાયરના કેટલાક લોકપ્રિય શેરને માણીએ :

હું નથી થાક્યો હજી સંબંધથી,
લાકડી અળગી કરો ના અંધથી

શબ્દ તો ઘોડા બનીને આવતા,
અર્થ તો અસવાર થઈને હાંફતા

ભૂલી જવાનો હું જ, એ કહેતાં હતાં મને,
એવું  કહીને  એ  જ તો ભૂલી ગયાં મને.

તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું,
મારું  ગજું  નથી  કે  તને  છેતરી  શકું.

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક  તમને  સાલશે  મારો અભાવ પણ.

ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખ્મો ધરી જાશે.

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી  મનાવું ? ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઈ અસર ત્યારે દુવાએ લાજ રાખી છે. ~ કૈલાસ પંડિત

શાયર કૈલાસ પંડિતની કલમચેતનાને નમન.

આર.પી.જોશી રાજકોટ

****

4 Responses

  1. ખુબજ પ્રખ્યાત રચનાકારો મા ના અેક કૈલાસપંડિત ની રચનાઓ ખુબ માણવા લાયક હોય છે અેમાયે મનહર ઉધાસ ના અવાજ મા સાંભળવી તે લહાવો છે

  2. Anonymous says:

    સરસ રચના. અભિનંદન.( મીનળ ઑઝા)

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    પારંપરિક ગઝલના ક્ષેત્રમાં કૈલાસ પંડિત ની રચનાઓ લોકપ્રિય છે.

  4. લાહ, સરસ સંકલન. કવિને સ્મૃતિ વંદન

Leave a Reply to છબીલભાઈ ત્રિવેદી Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: