ન્હાનાલાલ ~ અસત્યો માંહેથી

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા.
તું-હીણો હું છું તો, તુજ દરસનાં દાન દઈ જા.
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદૃષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી! ધરું.
~ ન્હાનાલાલ
કવિ ન્હાનાલાલની પૂણ્યસ્મૃતિએ વંદન.
સ્વર : દિપાલી ભટ્ટ, મનોજ દવે, નિનાદ મહેતા, ફોરમ મહેતા
असतोमा सदगमय..ના ભાવને વ્યક્ત કરતું કાલજયી પ્રાર્થના ગીત શિખરિણી છંદમાં રચાયું છે. કવિચેતનાને વંદન.
કવિ ન્હાનાલાલ ને સ્મૃતિવંદન.
ખુબ સરસ પ્રાર્થના ગીત ઘણા વર્ષોથી શાળા મા ગવાય છે કવિ શ્રી ની ચેતના ને પ્રણામ