મનોહર ત્રિવેદી ~ તડકાને તો

તડકાને તો એમ કે જાણે સૂરજસોતું આભ ઉતારું..
છાપરે બેસી ગાય એ…યને એકલરામ આ હોલો ગાય :
બાજુમાં સામટું ધગી જાય મોભારું…
ઓણના જેવા વાયરા અને ઓણ જેવી બપ્પોર
નીરખ્યા ક્યાં વૈશાખના આવા તોછડા કદી તોર ?
સાંજ લગી નૈ ભીંતનો છાંયો બીકનો માર્યો,
નેજવેથી મોં કાઢશે બહારું..
ડાળમાં લપાય પોપટ-સૂડા પળ રહે ના ચૂપ
ટીપે ટીપે પાંદડા ચૂવે સૂરના મીઠા કૂપ
ત્યાં જ ગોળામાં ઊઠતી છાલક : પાણિયારું ભીંજાય
ગુંજે જ્યાં ગીત બુઝારું…
તડકાને તો એમ કે જાણે સૂરજસોતું આભ ઉતારું..
~ મનોહર ત્રિવેદી
તડકાનું ગીત અને તેય સવારના કુમળા તડકાને જ નહીં, વૈશાખના ભરબપ્પોરને પણ કવિએ કેવી હલકથી શબ્દોમાં પરોવી દીધો છે ! શબ્દો આંખમાં ઉતરે ને ગળામાં સૂર છલકાવા માંડે એ ગીત !
તડકાને તો એમ કે … કહીને કવિએ તડકાને આપણી સાથે વાતમાં જોડી દીધો છે. ગોળામાંથી ઉઠતી છાલકની જેમ એ મન ભીંજવી દે છે…
‘ધગી જાય’, ઓણ’ ‘નેજવું’ આ તળની બોલીના શબ્દો ગીતના લયને ઓર રણકાવે છે.
તડકા પર લખાયેલ કવિતાઓમાં એક જુદા જ પ્રકારની આ કવિતા છે. ભર બપોરના કાળઝાળ તડકાને-સૂરજસોતું આખું આભ ઉતારું એવું બોલાવીને-કવિએ જાણે ઘરનું માણસ બનાવી દીધો !
મનોહર ત્રિવેદીની કવિતાઓ એટલે નજર સામે આખી કુદરત ઠલવાઈ જાય. શબ્દો વાંચતા સાથે જ એનું ચિત્ર મનમાં રચાતું જાય. 🙏
તડકો….
તમારા પ્રેમ જેવી હુંફ આપતો