મીરાંબાઈ ~ રામ રમકડું
રામ રમકડું જડિયું
રાણાજી મુને રામ રમકડું જડિયું….
રુમઝુમ કરતું મારે મંદિરે પધાર્યું
નહીં કોઈને હાથે ઘડિયું
રે મુને રામ રમકડું જડિયું…
મોટા મોટા મુનિજન મથી મથી થાક્યા
કોઈ વિરલાને હાથે ચડિયું
રામ રમકડું જડિયું……..
શૂન્ય શિખરના ઘાટથી ઉપર
અગમ અગોચર નામે બનિયું
રે મુને રામ રમકડું જડિયું….
બાઈ મીરાં કે’ પ્રભુ ગિરધર નાગર
મારું મન શામળીયા સંગ જડિયું
રે મુને રામ રમકડું જડિયું
– મીરાંબાઈ
મીરાંબાઈનું આ ભજન અને અમરભાઇનો ભાવભર્યો કંઠ. રામનવમીને દિવસે પ્રભુ રામને વંદન કરવા આથી વિશેષ બીજું શું હોય ?
આમ તો આજે ‘મારા રામ તમે સીતાજીની તોલે ન આવો’ એ જ કહેવું હતું પણ ના, હજી આશા છૂટી નથી, હજી ધીરજ ખૂટી નથી અને કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ અતૂટ છે એટલે દરેકે, માનવજાતે પણ એના કર્મોના ફળ ભોગવવા જ પડે એ ગીતાના સંદેશને માથે ચડાવી, હું જોઉં કે ન જોઉં પણ આ કાળી રાત પૂરી થશે જ અને ફરી સવાર ઊગશે જ એ શ્રદ્ધા સાથે ભગવાન રામના ચરણોમાં મીરાંબાઈના આ શબ્દો ધરું છું.
ખૂબ જાણીતા સંગીતકાર શ્રી અમર ભટ્ટે આ ભજનનું સ્વરાંકન કર્યું છે અને ગાયું છે. કોઈ કારણસર વિડીયો અહીં ચાલુ થઇ શકતો નથી. આપ નીચેની લિન્ક કોપી કરીને યુટ્યુબ પર સાંભળી શકશો.
21.4.21
યામિની વ્યાસ
22-04-2021
ખૂબ ખૂબ સરસ.
ભીખુભાઇ કવિ
22-04-2021
કવિતા માણવા ની મજા જ ઓર છે
કાજલ સતાણી
22-04-2021
“મીરાં”બાઈનું આ ભજન..ઓછા શબદ અલગારી ભાવ જગાડે છે..મીરાંમય થઈ “રામ” સમીપે પહોચાયું.સવારથી સાંજ બસ આ જ ભજન અંતરમન ને ભીંજવતું રહ્યુ…અધ્યાત્મની યાત્રાનું વિશ્વ કાવ્યવિશ્વ એ સહજ ખોલી આપ્યું…
મને ખુબ આંનદ થાય છે એ કહેતા કે શ્રી લત્તાબહેન..નાં પુરુષાર્થે આ કાવ્ય વિશ્વ મારી સમક્ષ ખડુ છે…ખુબ ખુબ આભાર..?
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
22-04-2021
મીરાં ની ભક્તિ ની વાત હોય અને કૃષ્ણ, શામળીયો ના આવે એવું બને જ નહીં. રામ રમકડું એજ એનો સર્વસ્વ કૃષ્ણ.
સ્વામી સત્યમુની
22-04-2021
લતાબેન,ખૂબ જ મઝા આવી.કાવ્યોનું ચયન,તેના મર્મને ઉઘડવો અને કાવ્ય પ્રીતિ…વાહ.
અમારી સલામ.
પ્રતિભાવો