ઉદયન ઠક્કર ~ ન કૂંપળ, ન કળીઓ * Udayan Thakkar
ન કૂંપળ, ન કળીઓ, ન કુસુમો, ન ક્યારો,
સુગંધોને હોતો હશે કંઈ કિનારો?
લતાકુંજમાં કેમ ગુંજે સિતારો?
છે ભમરા? કે પાંખાળા સંગીતકારો?
લળીને ઢળીને ટહુકા કહે છે
‘તમે ક્યાંથી અહીંયાં? પધારો, પધારો !’
આ તોળાવું ઝાકળનું, તરણાંની ટોચે
અને મારા મનમાં કોઈના વિચારો….
મને જોઈને ઘાસ હળવેથી બોલ્યું,
‘જરા આમ આવો, પગરખાં ઉતારો.’
~ ઉદયન ઠક્કર
મને જોઈને ઘાસ હળવેથી બોલ્યું, ‘જરા આમ આવો, પગરખાં ઉતારો’ – આટલા શબ્દો આ રચના પર આફરીન થઈ જવા માટે પૂરતા છે. આ નમણી, નાજુક પદાવલિ માનવ સ્વભાવ પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે પાર વિનાના સંદર્ભો લઈને આવે છે…. પણ અત્યારે આટલી કઠિન પરિસ્થિતિમાં આપણે એની નમણાશ અને હળવાશ સુધી પહોંચીએ એ જ જરૂરી. જાણીતા ગાયિકા નમ્રતાબહેને એનું મજાનું સ્વરાંકન કર્યું છે.
24.4.21
કાવ્ય : ઉદયન ઠક્કર – સ્વરાંકન અને સ્વર : નમ્રતા શોધન
પ્રતિભાવો