ડિઝિટલ ચંદરવા પર કવિતાનું પ્રતિષ્ઠાન કરતાં જાણીતાં કવયિત્રી સર્જક લતા હિરાણી
ગુજરાતી શબ્દવિશ્વમાં લતા હિરાણીનું નામ સન્માન સાથે લેવાય છે. તેમની સર્જકતા અને શબ્દ પ્રતિબદ્ધતાએ સાતત્ય સાથે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ભાષા-સાહિત્યનું સાર્થક કામ સજ્જતાની સાથે સાથે નિસબત અને ધીરજથી કરવું પડતું હોય છે. લતાબહેન એ સુપેરે જાણે છે અને તેમણે શબદને નિરાંતે સેવ્યો છે. તેમણે હમણાં એક સુંદર, આજના સમયકાળને અનુરૂપ ઉપક્રમ રચ્યો છે. તેમણે કાવ્યવિશ્વ નામની નૂતન વેબસાઈટનો પ્રારંભ કર્યો છે.
કવિતા સાથેના પોતાના સંબંધને તેઓ આ રીતે વ્યક્ત કરે છેઃ
મૌન ઉંચકતી આંગળીઓ ને ટેરવાં ચૂપચાપ
જામ્યો ‘તો જીવમાં જાણે કેટલો ઉત્પાત !
હળવે હળવે પ્રગટયાં એ, જે અંદરના મંતર
રગ રગ મારી બાજયા રાખે, રણઝણનાં જંતર.
કાવ્યની કેડી ક્યાંક મારા આગલા જનમથી કોતરાયેલી હશે, નહીંતર આગળ પાછળ ક્યાંય, કાવ્ય તો શું, સાહિત્ય સાથેય નિસ્બત ન હોય એવા વાતાવરણમાં જન્મ્યા ને જીવતા હોઈએ એવામાં કવિતાને ઝંખ્યા કરવું, એ અંદર ઊંડે દટાયેલા બીજ હશે, સમય આવતા જેના અંકુર ફૂટી નીકળ્યાં! સમજણ આવી ત્યારથી કવિતા પ્રિય છે. કવિતા સાથેની દોસ્તી શ્વાસના પ્રવાસને નર્યા આનંદથી ભરી દે છે. મારા આ પ્રવાસમાં સંગાથ પણ એવો જ હૂંફાળો ! દિવસે ઝાંખરાંથી બચાવે ને રાતે દીવો ધરે. સતત મારી સંભાળ લીધા કરે – મારા પોતાનો પરિવાર, પતિ-સંતાનો અને મિત્રો, હંમેશા સૌનો સાથ-સહકાર હું પામી છું. એક જાહેર મુલાકાતમાં મેં કહ્યું હતું કે ‘ઈશ્વરની મારા ઉપર વિશેષ કૃપા રહી છે. મારે કોઈ સંઘર્ષ નથી કરવો પડ્યો. મને લગભગ બધું જ ઇચ્છ્યા પ્રમાણે વહેલું-મોડું પણ મળ્યું છે. I am a blessed lady ! એમાં જ લો, આ ‘કાવ્યવિશ્વ’ મારી સામે ઉઘડી આવ્યું. હવે એ યાત્રા શરૂ થાય છે.
લતાબહેન જ્યારે પોરબંદર આર્ય કન્યા ગુરુકુળ મહિલા કોલેજમાં ભણતાં હતાં ત્યારે તેમના પ્રોફેસર અરવિંદ પટેલે તેમને કોલેજના સામયિક માટે લેખ લખવા કહ્યું. તેમણે લેખની સાથે કવિતા પણ આપી. સોળ વર્ષની મુગ્ધ વયે પહેલી કવિતા હિંદીમાં લખાઈ હતી ! એને ઈનામ પણ મળ્યું.
લતાબહેને લગ્ન પછી પૂરા અઢી દાયકાનો વિરામ લીધો. 1998માં પુનઃ શબ્દયાત્રા થઈ જે 22 વર્ષથી સાતત્ય સાથે ચાલી રહી છે.
લતાબહેનને ગૃહિણીની ભૂમિકામાંથી જરાક મોકળાશ મળી અને બહાર ડોકિયું કર્યું ત્યારે ‘કાંઇક કરવું છે’ એટલું જ મનમાં રમતું હતું. તેમણે તો જ્યાં રસ્તો દેખાયો ત્યાં ચાલવા માંડ્યું. શરૂઆતનાં પુસ્તકો ગદ્યમાં જ થયાં. 2000માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’, ત્રણ એવોર્ડથી પુરસ્કૃત થયું. ડો. કિરણ બેદી વિશેનું પુસ્તક ‘સ્વયંસિદ્ધા’ ખુદ કિરણ બેદીજીએ વધાવ્યું. ‘ધનકીનો નિર્ધાર’ રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયું. બાળવાર્તાઓનાં ચાર પુસ્તકો અને બે કાવ્યસંગ્રહો થયા, ‘ઝળઝળિયાં’ અને ‘ઝરમર’. બાવીસ વર્ષની સાહિત્યયાત્રાના પડાવે, પ્રકાશિત પુસ્તકોની સંખ્યા અઢાર થઈ છે અને છ પુસ્તકો પ્રકાશિત થવાનાં છે.
લતાબહેને પોતાની સર્જકતા અને શબ્દ પ્રતિબદ્ધતાથી સેંકડો વાચકો મેળવ્યા.
જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરમાં 2007માં લઘુકથાની કૉલમથી નિયમિત લખવાનું શરૂ કર્યું હતું. 2011થી તેમને ‘કાવ્યસેતુ’ કૉલમમાં કાવ્યના આસ્વાદો લખવાની તક મળી, જે જૂન 2020 સુધી ચાલી. ગદ્યમાં સારું એવું કામ કર્યા પછીયે તેમનું મૂળ જોડાણ કાવ્ય સાથે રહ્યું છે કેમ કે તેઓ કહે છે કે કવિતાએ જે આનંદ આપ્યો છે એ કંઈક અલગ જ છે. એટલે તેમના મનમાં જાગ્યું કે આ ક્ષેત્રમાં કંઈક કરવું છે અને તેમાંથી જન્મી કાવ્યવિશ્વ વેબસાઈટ.
કવિતા ક્ષેત્રે શું કરવું એના અનેક વિકલ્પોને અંતે આ કોરોના અવકાશે લતાબહેનની દિશા સ્પષ્ટ થઈ. નેટજગતની અનેક મુલાકાતો પછી, કાવ્ય સંબંધિત તમામ બાબતો આવરી લેવાઈ હોય એવી ગુજરાતી વેબસાઇટ તેમને મળી નહીં. તેઓ કહે છે કે સંસ્થાઓની વેબસાઇટમાં કવિઓનો પરિચય, એમના પુસ્તકો વગેરે માહિતી મળે પણ એમાં એમનાં કાવ્યોનો સમાવેશ ન હોય. એને અપડેટ કરવાની બાબતમાં અત્યંત નિરાંત જોવા મળે. જેમ કે એક જાણીતી વેબસાઇટ પર એક કવિનાં ચાર પુસ્તકો મને મળ્યા. વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે એમના કુલ ચાલીસ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે ! વળી આવી વેબસાઇટ માત્ર સુપ્રસિદ્ધ કવિઓને જ આવરે. આ સિવાય અન્ય જાણીતી વેબસાઇટ પર – ક્યાંક જાણીતા અને નવ્ય કવિઓનાં સરસ કાવ્યો અને આસ્વાદો મળે. ક્યાંક માત્ર અનુવાદિત કવિતાઓ રજૂ થાય. ક્યાંક કવિતા સાથે સંગીત પણ પ્રાપ્ત થાય. કવિઓની પોતાની વેબસાઇટમાં સ્વાભાવિક રીતે, એમની પોતાની જ રચનાઓ હોય. એ સિવાય નેટવિશ્વ અને બ્લોગ જગત કાવ્યોથી છલકાય છે, જેમાં જે તે લોકો પોતાની પસંદગીનાં કાવ્યો પીરસે છે. આમ આ શોધયાત્રાનું સુફળ એ આવ્યું કે મારે જે કરવું હતું એ દિશામાં આગળ જવા માટે મારો ઉત્સાહ વધી ગયો. જેમાં કાવ્ય સંબંધી લગભગ તમામ ગતિવિધીઓનો સમાવેશ હોય એવી વેબસાઇટ બનાવવાની મારી તૈયારી શરૂ થઈ.
લતાબહેન ‘કાવ્યવિશ્વ’ વેબસાઈટને કવિતા વિષયની એક બૃહદ વેબસાઈટ બનાવવા માગે છે. તે થઈ શકશે કારણ કે પારણામાં જ તેનાં લક્ષણો દેખાયાં છે. ખરેખર તેમણે એક ઉત્કૃષ્ટ વેબસાઈટનું સર્જન કર્યું છે.
શું શું હશે આ વેબસાઈટમાં ?
સંવાદ : સમસામયિક લેખો. અન્ય ભાષાના ખ્યાતનામ કવિઓ તથા કાવ્યજગતમાં બનતી નોંધપાત્ર ઘટનાઓ અંગે
સેતુ : A. કાવ્ય સંબંધિત નોંધપાત્ર બાબતો B. ‘કાવ્યવિશ્વ’ દ્વારા કવિતાને પ્રોત્સાહક પ્રવૃતિઓની વિગતો. (સમયાંતરે કાવ્યસ્પર્ધા, ઉત્તમ કાવ્યોનું અભિવાદન જેવા કાર્યક્રમો ‘કાવ્યવિશ્વ’ દ્વારા યોજાશે જેની માહિતી અહીં આપવામાં આવશે.)
કાવ્ય : નિયમિત એક કવિતા. પ્રાપ્ય હશે તો સાથે કવિનો ફોટો અને કાવ્યગાયન
અનુવાદ : ગુજરાતીમાંથી અન્ય ભાષામાં અને અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદિત કાવ્યો
આસ્વાદ : પસંદગીના કાવ્યોના આસ્વાદો
સર્જક : કવિઓના પરિચય લેખો, મુલાકાત અને કવિકેફિયત
સ્વરૂપ : અછાંદસ, છાંદસ તથા અન્ય કાવ્યસ્વરૂપો
સંચય : સુપ્રસિદ્ધ કવિઓના હસ્તાક્ષર, એમના હસ્તાક્ષરમાં એમનું કાવ્ય, સ્મરણીય ફોટાઓ…
આપ આ વેબસાઇટkavyavishva.comની મુલાકાત લઈને આપના પ્રતિસાદ લતાબહેનને પહોંચાડશો તો તેઓ રાજી થશે. તેમનો સંપર્ક નંબર 99784 88855 છે.
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)
OP 8.7.2021
Varij Luhar
10-07-2021
કાવ્ય વિશ્વ..માટે અને લતા બહેન હીરાણી ની સર્જકતા વિશે શ્રી રમેશભાઈ તન્ના નો સુંદર લેખ વાંચી આનંદ થયો
ડો. પરુષોત્તમ મેવાડા, સાજ
08-07-2021
આ રીતે કાવ્યવિશ્વ ની.અને આપના ઉમદા અભિયાનની નોંધ લેવાય એ ખૂબ આનંદ ની વાત છે. કોઈ પણ સારા કામને પ્રોત્સાહિત કરવું એ સંસ્કારી સમાજની ફરજ છે. શુભેચ્છાઓ.
પ્રફુલ્લ પંડ્યા
08-07-2021
કવિશ્રી મૂકેશ જોશીની ગઝલમાં આ મુજબના રદ્દિફે મજા આવી કરાવી દીધી.આ ગઝલમાં અનુભૂતિ અને ભાવ વિશ્વ પણ ખૂબજ હ્રદયસ્પર્શી છે કવિશ્રીને હાર્દિક અભિનંદન !
શ્રી રમેશભાઈ તન્નાએ શ્રી લતાબેન હિરાણીના ડિજિટલ ચંદરવા વિશે માંડીને સ-રસ અને માહિતીપ્રદ વાતો કરી.” કાવ્ય વિશ્વ ” એક કવિતા અને સાહિત્યને વરેલી સંપૂર્ણ અને રસપ્રદ વૅબસાઈટ બનીને સાહિત્ય જગતમાં આજે ધૂમ મચાવી રહી છે તેમાં લતાબેનની દ્રષ્ટિ,નિષ્ઠા અને સખત મહેનત ઉભી છે.શ્રી રમેશભાઈ પોઝીટીવ મિડિયા સાથે સરસ કામગીરી બજાવી રહ્યા છે.તેઓશ્રીને અને શ્રી લતાબેનને ખૂબ ખૂબ અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા
સિકંદર મુલતાની
08-07-2021
વાહ..
રમેશ તન્નાજીનો આપના વિશેનો રસપ્રદ લેખ..આપની સાહિત્યિક-પ્રીતિને સલામ..’કાવ્યવિશ્વ’ બૃહદ વેબસાઈટ બને એવી શુભેચ્છાઓ.. અભિનંદન💐💐
છબીલભાઈ ત્રિવેદી
08-07-2021
રમેશ તન્ના અે જે આલેખન કર્યું, ખુબજ સરસ તમામ પાસા ઓની વિગત વાર છણાવટ કરી કયાય અતિશયોક્તિ જેવું નથી ખુબ સરસ અભિનંદન આભાર લતાબેન
પ્રતિભાવો