અછાંદસ : ડો. પ્રવીણ દરજી Pravin Darjee

અછાંદસ વિષે થોડુંક – ડો. પ્રવીણ દરજી

આજે કવિતાએ કંઈક અંશે એની પ્રચલિત ધારાઓને બદલી નાખી છે. સંભવ છે નવા સમયનો તકાજો પણ હોય. કાવ્યશાસ્ત્રના ઝાંખા થઈ રહેલાં સિદ્ધાંતોનું પરિણામ હોઈ શકે અથવા એવાં બીજાં કારણો પણ હોઈ શકે. પરિણામ નજર સામે આવી રહ્યું છે કે બહુધા કવિતા એટલે ગઝલ કે પછી ગીત. માત્રામેળ છંદમાં ક્યાંક રચનાઓ મળે છે પણ અક્ષરમેળમાં તો એવી રચનાઓ નહીંવત અથવા તો શોધવી પડે. ગીતગઝલની સાથે સાથે અછાંદસમાં લખનારો એક કવિવર્ગ છે. તેના કેટલાંક સ્પૃહણીય પરિણામો પણ મળ્યાં છે, છતાં આવી અછાંદસ રચનાઓમાંથી પસાર થવાનું બને ત્યારે લગભગ લાગવાનું કે બધે અછાંદસ કારગત નીવડ્યું નથી. અછાંદસનું પણ એક વણલખ્યું પોએટીક્સ તો છે . લખનારે જાણવું પડે. સાથે પણ સ્પષ્ટ થવું જોઈએ કે અછાંદસની પસંદગી કેમ ? તે માટે કવિની કોઈ નિજી અનિવાર્યતા છે ? શું ગીતગઝલમાં કે છંદમાં અભિવ્યક્ત થઈ શકે એમ નથી ? શું સંવેદનની પ્રબળતા એવી રહી છે કે જે કવિને અછાંદસ તરફ દોરી જાય છે ? કે પછી માત્રામેળઅક્ષરમેળની જાણકારીનો તે પાછળ અભાવ છે અથવા તો અરુચિ છે ?

અછાંદસની સમજ સાથે આવી કેટલીક બુનિયાદી વાતો સંકળાયેલી છે. એરિસ્ટોટલપ્લેટોથી માંડીને આજ સુધીના પૂર્વપશ્ચિમના મીમાંસકોએ અલબત્ત, કાવ્યચર્ચાવેળા છંદને ઉપયુક્ત લેખ્યો નથી. કાવ્ય ગદ્યપદ્ય ઉભયમાં સંભવી શકે તેવું સર્વસ્વીકૃત સત્ય રહ્યું છે. છતાં કવિઓનીમોટાભાગના કવિઓની દૃષ્ટિ છંદ પર રહી છે. ભૂતકાળ એનો સાક્ષી છે. એવે વખતે પણ કવિ ક્યારેક ક્યારેક છંદ છોડવા મથ્યો છે. કાં તો તેને અભ્યસ્ત કરે છે, કાં તો તેમાં છૂટ લેવા પ્રેરાયો છે પણ ન્હાનાલાલ જેવા કવિ, છંદ પર પૂરેપૂરું વર્ચસ્વ હોવા છતાં, ઉત્તમ છંદોબદ્ધ રચનાઓ આપી હોવા છતાં પણ મહાછંદની શોધ આદરતાં આદરતાં તે ડોલનશૈલીના શબ્દમંડળમાં પહોંચી જાય છે. એમની નિજી છટાબાની હતી. સશક્ત સંવેદનાને ઝીલવા માટે તેમણે છંદના ઝાંઝર તોડ્યાં. અછાંદસનું પરોક્ષ પગેરું આપણે ત્યાં એવાં પ્રયોગમાં જરૂર કોઈ ખોળી શકે. છતાં તેમણે ત્યાં આગ્રહપૂર્વક કહ્યું, – વાણીમાં ડોલન હોવું જોઈએ, ડોલન અણસરખું પણ હોઈ શકે.

અછાંદસમાં વાત કેન્દ્રમાં છે. ગદ્યથી તે જુદી છટા દાખવે છે. કોઈ ઇમેજ, પુરાકલ્પન કે સંવેદન લઈને અછાંદસની માંડણી થાય છે પણ ભાવકલ્પ પ્રમાણે તેનાં આવર્તનો, તેનો લય, તેનો આંતરિક લય, તેમાં જોવા મળે છે. બલ્કે મળવા જોઈએ. ત્યાં વાત છેવટે ગદ્યશિસ્તની નહીં કાવ્યશિસ્તની રહે છે. ગદ્યાળુતા તો ત્યાં ટકે, નભે. પણ પશ્ચિમના પ્રસિદ્ધ વિદ્વાને નોંધ્યું છે તેમ ત્યાં બળવાન સંવેદના અવતરવી જોઈએ. અછાંદસમાં એવું ઉત્તમ કવિના હાથે બન્યું છે ત્યાં પરિણામો પણ એટલાં શ્રેષ્ઠ મળ્યાં છે. અછાંદસ તે કાવ્ય અને બીજાં કાવ્યો નહીં અથવા છંદોબદ્ધ તે કાવ્ય અને અન્ય નહીં, એવી ટૂંકી સમજ અહીં લગીરે નભે નહીં. અછાંદસ પ્રથમ કાવ્ય છે વાત લખનારે બરાબર સ્મરણમાં રાખવી ઘટે. ત્યાં લય, અમુક પ્રકારનાં આવર્તનો, કૃતિનો ટોન, શબ્દપસંદગી, લાઘવ, સંકેત, કાવ્ય સર્જનારી તદબીરો, સર્વનો ખપ યથાવકાશે પડે છે. અહીંસસ્તાભાવે સિદ્ધપુરની યાત્રાએવું માનનાર અછાંદસમાં ચીત થઇ જતો હોય છે. રીતે અછાંદસમાં લખવું દેખીતું સહેલું લાગે પણ તે વધુમાં વધુ અઘરું છે. કવિની કસોટી કરી રહે તેવું, પડકારરૂપ સર્જન છે. અહીં પણ જૂના ઓજારોમાંથી કેટલાક ઉપયોગી બનતાં હોય છે. અહીં પણ શબ્દને એરણ પર મૂકવાં પડે છે. છંદમુક્તિ એટલે સ્વૈરતા નહીં, લખનારે સારી પેઠે સમજવું રહે છે.

અછાંદસ એમ છંદ વિના રચાતુંકાવ્યછે. ત્યાં કાવ્યનિબંધન અને કાવ્યકૌશલ, કવિકર્મ તો ટકોટક જોઈએ . ભીતરી અનિવાર્યતા પ્રસ્થાનબિંદુ બનવું રહે.

~ ડો. પ્રવીણ દરજી

મૂળ પોસ્ટીંગ 12.10.2020

પ્રતિભાવો 

કાવ્યવિશ્વ..આહા…અદભુત પીરસી રહ્યું છે. લતાબેન, ટૅકનોલોજીનું આ આંગણું અવનવું લઈને આવે છે. ને કવિતાના સઘળાં પાસા પર પ્રકાશ ફેંકી, કવિતાનો રસથાળ ધરી સૌને જલસો કરાવે છે.

અછાંદસ કવિતામાં ગદ્યાળુતા ના ચાલે… સરસ

ખૂબ સરસ માહિતી પણ પણ માત્ર છંદ ની માથાકૂટ નથી પરંતું કયારેક કવિને કોઈ બંધનો વગર મૂક્ત રીતે વ્યકત થવું હોય છે એટલે માત્ર છંદની ગેરહાજરી છે એટલું પૂરતું નથી પણ એક અદ્રશ્ય લય હોય છે. 

અછાંદસ્ની તલસ્પર્શી ચર્ચા અહીં થઇ છે.ગદ્ય અને અછાંદસ્ વચ્ચેની વ્યાવર્તકતા અહીં સ્પષ્ટ કરવામાં આવી છે જે બહુ જરુરી છે.આ ચર્ચામાં કવિકર્મનો વિભાવ પણ સારી રીતે ઊપસ્યો છે. લેખકને અભિનંદન. આ પ્રકારના લેખો આજના સમયમાં બહુ પ્રસ્તુત લાગે છે.

વાહ, ખૂબજ સુંદર આલેખન સાથેનો આભ્યાસ

અછાંદસ વિશેની સરસ સમજ આપી છે.છંદમા નહીં તે અછાંદસ એ માન્યતા દ્રઢ થઈ ગયેલી છે. અછાંદસ વિશે આવા લેખો, અવારનવાર પ્રગટ થાય ,અભ્યાસુ સાહિત્યકારોના મંતવ્યો પ્રકાશિત થાય તે ખૂબ જરૂરી છે.

1 Response

  1. અછાંદસ કાવ્યને ખરેખર કાવ્ય કરવું એ કવિ કર્મ ની કસોટી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: