અનિલ ચાવડા ~ ફકત થોડા જ દિવસોમાં

ફકત થોડા જ દિવસોમાં જે કંટાળી ગયો ઘરમાં.

એ વરસોથી કરી બેઠો છે ઈશ્વર કેદ પથ્થરમા.

અહીંયા કોઈએ ટોળે ન વળવું એમ કહેવાને ;

હજારો માણસો ભેગા થયા છે એક ખંડેરમાં.

‘જીવન પોતેજ બીમારી છે’ એમ કહેનાર એક ફિલસૂફ  

જરા ખાંસી ચડી તો એકદમ ધ્રૂજી ઉઠ્યા ડરમાં!

કબૂતર બાંધતું ‘તું જાદુગરની ટોપીમાં માળો!

એ જોઈ આવી ગઈ શ્રદ્ધા બધાને જાદુમંતરમાં

ગહન અંધારનો કાળો વિષય શિખવાડવા માટે;

વદ્યા શિક્ષક, ‘દીવા કરજો બપોરે ઘરના ઉંબરમાં’

તમારા આંકડા શિકારી નહોતા એ વખતના છે,

હવે ક્યાં એકપણ જોવા મળે છે હંસ સરવરમાં?

ટીવીમાં બેઘરોના ન્યૂઝથી  રડનારને પૂછ્યું,

ઘડીક બાળકને સાચવશો? તો બોલ્યો ‘હેં હેં’ ઉત્તરમાં !

~ અનિલ ચાવડા

OP 25.12.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: